1 Corinthians 9

1શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારી સેવાનું ફળ નથી? 2જો કે હું બીજાઓની દ્રષ્ટિમાં પ્રેરિત ન હોઉ, તોપણ નિશ્ચે તમારી નજરે તો છું જ, કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપણાનો પુરાવો છો.

3મારી ખણખોદ કરનારાને મારો એ જ પ્રત્યુત્તર છે; 4શું અમને ખાવાપીવાનો અધિકાર નથી? 5શું જેવો બીજા પ્રેરિતોને, પ્રભુના ભાઈઓને તથા પિતરને છે તેવો મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઇ ફરવાનો અધિકાર નથી? 6અથવા શું ધંધો રોજગાર કરીને ગુજરાન ચલાવવાનું કેવળ તથા બાર્નાબાસને માટે જ છે?

7એવો કયો સિપાઈ છે કે જે પોતાના ખર્ચથી લડાઈમાં જાય છે? દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ કોણ ખાતો નથી? અથવા કોણ ટોળું [જાનવર] પાળીને તેના દૂધનો ઉપભોગ કરતો નથી? 8એ વાતો શું હું માણસોના વિચારોથી કહું છુ? અથવા શું નિયમશાસ્ત્ર પણ એ વાતો કહેતું નથી?

9કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યું છે, કે પારે ફરનાર બળદના મોં પર શીંકી[જાળી] ન બાંધ. શું આવી આજ્ઞા આપવામાં શું ઈશ્વર બળદની ચિંતા કરે છે? 10કે વિશેષ આપણાં લીધે તે એમ કહે છે? આપણાં લીધે તો લખ્યું છે, કે જે ખેડે છે તે આશાથી ખેડે અને જે મસળે છે તે ફળ પામવાની આશાથી તે કરે. 11જો અમે તમારે માટે આત્મિક બાબતો વાવી છે, તો અમે તમારી શરીર ઉપયોગી બાબતો લણીએ એ કઈ વધારે પડતું કહેવાય?

12જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે તો તેઓના કરતા અમે વિશેષે દાવેદાર નથી શું? તો પણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવરૂપ ન થવાય માટે અમે સર્વ સહન કરીએ છીએ. 13એ શું તમે નથી જાણતા કે જેઓ ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરે છે તેઓ ભક્તિસ્થાનનું ખાય છે; જેઓ યજ્ઞવેદીની સેવા કરે છે, તેઓ યજ્ઞવેદીના ભાગીદાર છે એ શું તમે નથી જાણતા? 14એમ જ પ્રભુએ ઠરાવ્યું કે, જેઓ સુવાર્તા પ્રગટ કરે છે, તેઓ સુવાર્તાથી પોતાનું ગુજરાન ચલાવે.

15પણ એવા કશો વહીવટ મેં નથી કર્યો; મને એવા લાભ મળે તે માટે હું આ લખું છુ એવું નથી. કેમ કે કોઈ મારુ અભિમાન કરવાનું કારણ વ્યર્થ કરે, એ કરતાં મરવું તે મારે માટે બહેતર છે. 16કેમ કે જો હું સુવાર્તા પ્રગટ કરું, તો મારા માટે એ ગર્વનું કારણ નથી; કેમ કે એ મારી ફરજ છે, અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે.

17જો હું ખુશીથી તે પ્રગટ કરું, તો મને બદલો મળે છે; પણ જો ખુશીથી ના કરું, તો મને એનો કારભાર સોંપવામાં આવ્યો છે. 18માટે મને શો બદલો છે? એ કે સુવાર્તા પ્રગટ કરતાં હું ખ્રિસ્તની સુવાર્તા મફત પ્રગટ કરુ, એ માટે કે સુવાર્તામાં મારો જે અધિકાર તેનો હું પૂરેપૂરો લાભ લઉં નહિ.

19કેમ કે સર્વથી સ્વતંત્ર હોવા છતાં, માણસોને વિશ્વાસી સમુદાયમાં લાવવા માટે, હું પોતે જ સર્વનો દાસ થયો. 20યહૂદીઓને પ્રાપ્ત કરવા સારુ, હું યહૂદીઓમાં યહૂદી જેવો થયો; નિયમાધીન ન હોવા છતાં હું નિયમાધીન જેવો થયો;

21નિયમરહિતોને મેળવવા સારુ, નિયમરહિત જેવો થયો; ઈશ્વરને માટે તો નિયમરહિત નહિ ખ્રિસ્તને માટે નિયમસહિત; 22નિર્બળોને લાવવા માટે, નિર્બળોની સાથે હું નિર્બળ જેવો થયો. દરેક રીતે કેટલાકના ઉધ્ધારને માટે સર્વની સાથે સર્વના જેવા થયો. 23હું સુવાર્તાને લીધે બધું કરું છું, એ માટે કે હું તેનો સહભાગી થાઉં.

24શું તમે નથી જાણતા કે શરતમાં દોડનારા સર્વ તો ઇનામને માટે દોડે છે, પણ ઇનામ એકને જ મળે છે? તમે એવું દોડો કે ઈનામ તમને મળે. 25પ્રત્યેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે; તેઓ તો વિનાશી મુગટ પામવા માટે એવું કરે છે; પણ આપણે અવિનાશી મુગટ પામવા માટે. 26એ માટે હું એવી રીતે દોડું છું, પણ શંકા રાખનારની જેમ નહિ; હું મુક્કેબાજ છું પણ હવામાં મુક્કા મારનારના જેવો નહિ. હું મારા શરીરને શિસ્ત તથા સંયમમાં રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે પડતો મુકાઉં.

27

Copyright information for GujULB